ઉંડવી સહિતના ચાર ગામમાં વરસાદી પાણી ભરાતા ખેતીના પાકને નુકશાન - NEWS E HUB

Slider Widget

Friday, 11 September 2020

ઉંડવી સહિતના ચાર ગામમાં વરસાદી પાણી ભરાતા ખેતીના પાકને નુકશાન


- ભાવનગર તાલુકાના ઉંડવી, ભોજપરા, કરદેજ, કમળેજ ગામમાં સર્વે નહી કરાતો અન્યાય 

- પાણીમાં હરણ, રોઝ, કાળીયાર જેવા ૧૦૦ પ્રાણી મૃત પામ્યા હોવાનો ગ્રામ પંચાયતના સભ્યો દાવો 

ભાવનગર, તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર  

ભાવનગર તાલુકાના ઉંડવી સહિતના ચાર ગામમાં વરસાદી પાણી ભરાતા ખેતીના પાકને વ્યાપક નુકશાન થયુ છે અને પાણીમાં ડુબી જવાથી ઘણા પ્રાણીઓના મોત નિપજયા છે પરંતુ તેમ છતા સરકાર દ્વારા સર્વે નહી કરી અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અંગે યોગ્ય પગલા લેવા ઉંડવી ગ્રામ પંચાયતના સભ્યોએ માંગણી કરી છે. 

ઉંડવી ગામે હાલના ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે નારી પાસે આવેલ પાળાને લીધે પાણીનો ઓટ ઉંડવી ગામ સુધી પહોંચી જતા ઉંડવી ગામે સાથણીમાં ફાળવેલ તેમજ ઉંડવીની ભેટ તરીખે ઓળખાતી જમીનમાં ઘણાં જ મોટા ખાતેદારો છે. અંદાજે ર૪૦થી ૩૦૦ જેટલા ખેડૂત ખાતેદારોની જમીન હાલ ડુબમાં ગયેલ છે. આ જમીનમાં મુખ્ય પાકોમાં કપાસ, બાજરી, જુવાર જેવા પાકોનુ વાવેતર કરવામાં આવેલ છે. હાલમાં આ જમીનમાં ત્રણથી ચાર ફૂટ જેટલુ પાણી ભરાયેલ હોવાને કારણે બધો પાક નિષ્ફળ ગયેલ છે. આ બધી જ જમીન સરકાર દ્વારા નાના તેમજ મજુર વર્ગોને સાથણીમાં મળેલ છે. આ જમીનમાંથી ઉપજ મેળવીને મજુર તેમજ નાના માણસો પોતાના કુટુંબનુ ભરણપોષણ કરતા હતાં. વરસાદના પાણી ખેતરમાં ભરાઈ જતા લોકોની આજીવીકા છીનવાઈ જતા હાલમાં પોતાના કુટુંબનુ ભરણપોષણ કરવુ પણ મૂશ્કેલ થયુ છે. 

વરસાદી પાણીના પગલે ર૪૦થી ૩૦૦ ખેડૂત ખાતેદારના પાકો નિષ્ફળ ગયેલ છે તેમજ પાણીના નિકાલના વહેણ છીછરા થઈ જવાથી આ વહેણ ઉંડા ઉતારવાની જરૂરીયાત છે. કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાવનગર જિલ્લામાં પડેલ અતિભારે વરસાદના લીધે ખેતીના પાકોમાં થયેલ નુકશાનનો સર્વે ભાવનગર તાલુકાના ભાલના ગામોના સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ ભાવનગર તાલુકાના ઉંડવી, ભોજપરા, કરદેજ તેમજ કમળેજ ગામોમાં અતિભારે વરસાદના લીધે ખેતીના પાકોનુ ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે તો આ સર્વેમાં ભાલના ગામોનો કરવામાં આવી રહ્યો છે, જયારે આ ચાર ગામો સાથે કેમ અન્યાય-કિન્નાખોરી કરવામાં આવી રહી છે ?. 

કાળુભાર ડેમનુ તથા ઘેલો નદીનુ પાણી ઉંડવી ગામીની સીમમાં ફરી વળતા જંગલી પ્રાણીઓ હરણ, રોઝ તેમજ કાળીયાર જેવા ૧૦૦ જેટલા પ્રાણીઓ પાણીમાં ડુબી જતા ઘણા પશુઓના મોત થયેલ છે, જેના પુરાવા છે તેવો દાવો કરવામાં આવ્યો છે. ખેતીના પાકને થયેલ નુકશાન અને મોતને ભેટલે પ્રાણી અંગે યોગ્ય તપાસ કરી તત્કાલ પગલા લેવા ઉંડવી ગ્રામ પંચાયતે માંગણી કરી છે અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.


No comments:

Post a Comment